Archive

Posts Tagged ‘શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી’

સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે,
થયો પાનબાઈને અફસોસ રે ;
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો,
મટી ગયો મનનો સર્વે શોક રે…
સતી…
અંતર બદલ્યું નિર્મળ થઈને બેઠાં,
સંકલ્પ સમાણો ચેતનમાંય રે ;
હાંણ ને લાભની મટી ગઈ કલ્પનાને,
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંય રે…
સતી…
જ્યાં રે જોવે ત્યાં હરિ ભાળ્યા,
રસ પીધો અગમ અપાર રે ;
એક નવધા ભક્તિને સાંધતાં,
મળી ગયો તુરીયામાં તાર રે…
સતી…
એટલામાં વજોભા આવિયા,
તેને કરાવ્યો સત્સંગ રે ;
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં ને,
હવે કોણ ચડાવે પૂરણ રંગ રે…
સતી…

ઉલટ સમાવ્યા સૂલટમાં ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ઉલટ સમાવ્યા સૂલટમાં ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ઉલટ સમાવ્યા સૂલટમાં ને,
સૂરતા ગઈ શૂનમાંય રે ;
ભાળી સ્વાર્મની ભોમકા ને,
હાર જોયા અખંડ મીટમાંય રે…
ઉલટ…
ભાઈ રે ! આવરણ ઉપાધિ મટી ગઈ ને,
હવે થયો છે આનંદ રે ;
બ્રહ્મ ભાવ્યા એકતારમાં ને,
ત્યારે તૂટયો પ્રપંચનો ફંદ રે…
ઉલટ…
ભાઈ રે ! અવિનાશી મેં અખંડ જોયા ને,
જ્યાં નામરૂપનો નાશ રે ;
સચ્ચિદાનંદ પૂરણ સદા સ્વામી ને,
તેને જોઈને થયો ઉલ્લાસ રે…
ઉલટ…
ભાઈ રે ! અવાચપદ અખંડ અનામી ને,
તેને જોઈ થયો ઉલ્લાસ રે ;
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં ને,
કીધો મૂળ અવિદ્યાનો નાશ રે…
ઉલટ…

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને,
વાળ્યું પદ્માસન રે ;
મન, વચનને સ્થિર કરી દીધું ને,
ચિત્ત જેનું પ્રસન્ન રે…
એટલી…
ભાઈ રે ! ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને,
લાગી સમાધી અખંડ રે ;
મહાદશ પ્રગટી તે ઘડી ને,
હરીને જોયા તે પંડ બ્રહ્માંડ રે…
એટલી…
ભાઈ રે ! બાહરરૂપ જેની વરતી બની ગઈ ને,
અંતર રહ્યું નહિ લગાર રે ;
સૂરતાએ સૂરમાં જઈને વાસ કીધો ને,
થયા અરસપરસ એકતાર રે…
એટલી…
ભાઈ રે ! નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને,
વરતી લાગી ઈડથી પાર રે,
ગંગાસતીનું શરીર પડી ગયું ને,
મળી ગયો હરિમાં તાર રે…
એટલી…

મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને, મિટાવું સરવે કલેશ રે
હરિનો દેશ તમને એવો દેખાડું ને, જ્યાં નહિ વરણ કે વેશ રે…
મન સ્થિર કરીને…
સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને, સૂક્ષ્મ કરવો આહાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને, વરતી ન ડોલે લગાર રે…
મન સ્થિર કરીને…
કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને, રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને, ચડાવવો નિત્ય નવો રંગ રે…
મન સ્થિર કરીને…
ચિત્ત વિષયમાંથી ખેંચવું ને, રહેવું સદાય ઈન્દ્રિયજીત રે
ગંગાસતી એમ બોલિયાં રે, તેથી થાય નહિ વિપરીત ચિત્ત રે…
મન સ્થિર કરીને…

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભગતી કરવી એણે રાંક થઇ ને રહેવું પાનબાઈ… – (ગંગાસતી – કરસન સાગઠીયા)

ભગતી કરવી એણે રાંક થઇ ને રહેવું પાનબાઈ… – (ગંગાસતી – મોતીબેન ડાકી)

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન રે
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવી, કર જોડી લાગવું પાય…
ભક્તિ કરવી એણે…
જાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વરણ વિકાર રે
જાતિ પાંતિ નહિ હરિના દેશમાં ને, એવી રીતે રહેવું નિર્માન રે…
ભક્તિ કરવી એણે…
પારકા અવગુણ કોઈના જુએ નહિ રે, એને કહીએ હરિના દાસ રે
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, એને દ્રઢ કરવો વિશ્વાસ…
ભક્તિ કરવી એણે…
ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગાસતી એમ બોલિયાં રે, તો તો જન્મ સફળ થઈ જાય રે…
ભક્તિ કરવી એણે…

ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભગતિ હરિની પ્રેમદા પદમણી… – (ગંગાસતી – મુગટલાલ જોશી)

ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ ! રહે છે હરિની જોને પાસ,
ઈ રે ભક્તિ જ્યારે ઉરમાં આવે, જ્યારે થાય સદ્દગુરુના દાસ…
ભગતી હરિની પદમણી…
અભયભાવના લક્ષણ બતાવું પાનબાઈ ! તમે સુણો એકાગ્ર ચિત્ત થઈ
એવા રે લક્ષણ સાંભળતાં પાનબાઈ ! અભયભાવ ચિત્તમાં પ્રગટાય…
ભગતી હરિની પદમણી…
સદ્દગુરુ વચનમાં સુરતાને રાખો, તો તો હું ને મારું મટી જાય
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય…
ભગતી હરિની પદમણી…
એવા અભયભાવ વિના ભગતિ ન આવે, મરને કોટિ કરે ઉપાય
ગંગાસતી એમ બોલિયાં રે, તે વિના જીવપણું નહિ જાય…
ભગતી હરિની પદમણી…

લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં, ત્યાં લગી ભગતી નૈ થાય
શરીર પડે વાકો ધડ લડે પાનબાઈ ! સોઈ મરજીવા કહેવાય…
લાગ્યા ભાગ્યાની ભે…
પોતાનું શરીર માને નહિ મનમાં, શરીરના ધણી જોને મટી જાય
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવે, ત્યારે પૂરણ નિજારી કહેવાય…
લાગ્યા ભાગ્યાની ભે…
નવધા ભગતીમાં નિરમળા રહેવું, મેલી દેવી મનની તાણાતાણ
પક્ષાપક્ષી નહિ હરિના દેશમાં, એનું નામ પદની ઓળખાણ…
લાગ્યા ભાગ્યાની ભે…
અટપટો ખેલ ઝટપટ સમજાય નૈ, એ તો જાણવા જેવી છે જાણ
ગંગાસતી એમ બોલિયાં રે, ત્યારે મટી જાય ચારે ખાણ…
લાગ્યા ભાગ્યાની ભે…

નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને, રાખવો વચનુંમાં વિશ્વાસ રે
સદ્દગુરુને પૂછીને પગલાં ભરવાં ને, થઈને રહેવું તેના દાસ રે…
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…
ભાઈ રે ! રંગરૂપમાં રમવું નહિ ને, કરવો ભજનનો અભિયાસ રે
સદ્દગુરુ સંગે એકાંતે રહેવું ને,, તજી દેવી ફળની આશ રે…
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…
કરતા ને ભોકતા હરિ, એમ કહેવું ને,, રાખવું નિરમળ જ્ઞાન રે
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવવું ને, ધરવું ગુરુજીનું ધ્યાન રે…
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…
અભ્યાસીને એવી રીતે રહેવું ને, જાણવો વચનનો મરમ રે
ગંગાસતી એમ બોલિયાં રે, છોડી દેવાં અશુદ્ધ કરમ રે…
નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…

કાળધર્મ સ્વભાવને જીતવો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કાળધર્મ સ્વભાવને જીતવો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કાળધર્મ સ્વભાવને જીતવો ને, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સરવેમાં વરતવું રે, ટાળી દેવો મનનો વિરોધ રે…
કાળધર્મ સ્વભાવને…
ભાઈ રે ! નિર્મળ થઈને કામને જીતવો, રાખવો અંતરમાં વૈરાગ્ય રે
જગતના વૈભવને મિથ્યા જાણીને, ટાળી દેવો દુબજાનો ડાઘ રે…
કાળધર્મ સ્વભાવને…
આ લોક પરલોકની આશા તજવી ને, રાખવું અભ્યાસમાં ધ્યાન રે
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવીને, મેલવું અંતરનું માન રે…
કાળધર્મ સ્વભાવને…
ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને, વરતવું વચનની માંય રે
ગંગાસતી એમ બોલિયાં રે, એને નહિ નડે જગતમાં કાંઈ રે…
કાળધર્મ સ્વભાવને…

અચળ વચન કોઈ દિ’ ચળે નહિ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

અચળ વચન કોઈ દિ’ ચળે નહિ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

અચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય
સદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં, તેને અહંભાવ આવે નહિ મનમાં.
અચળ વચન કોઈ દિ …
શરીર પડે પણ વચન ચૂકે નહિ, ગુરુજીના વેચ્યા તે તો વેચાય
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા, પણ બીજો બોધ નો ઠેરાય…
અચળ વચન કોઈ દિ …
મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ ! વચન પાળવું સાંગો પાંગ
ત્રિવિધીના તાપમાં જગત બળે છે, તેનો નહિ લાગે તમને ડાઘ…
અચળ વચન કોઈ દિ …
ભાઈ રે ! જીવન્મુક્તિની દશા પ્રગટશે, હાણ ને લાભ મટી જાય
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, પૂરણ નિજારી ઈ કહેવાય…
અચળ વચન કોઈ દિ …
દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો, જેથી રીઝે નકળંક રાય
ગંગાસતી એમ બોલિયાં, તેને નહિ માયા કેરી છાંય…
અચળ વચન કોઈ દિ ..